Minakshi Dixit
2 Books / Date of Birth:- 3/12/1934 / Date of Death:- 24/4/2024
અભ્યાસ : એમ.એ. (ગુજરાતી અને સંસ્કૃત), 1960, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. શ્રી ઉમાશંકર જોશીનાં શિષ્યા, સુપ્રસિદ્ધ હાસ્યલેખક બકુલ ત્રિપાઠીનાં નાનાં બહેન. 1964માં ચિત્તરંજન દીક્ષિત સાથે લગ્ન પછી ગૃહિણી, મુંબઈમાં સ્થાયી. મિતા, સૌમ્યા, પૂર્વીનાં માતુશ્રી. 1996માં ‘અંજની, તને યાદ છે?’ એક તાજગીભરી શૈલીની બાળપણની સ્મરણકથા ‘જન્મભૂમિ’ દૈનિકમાં હપ્તાવાર પ્રગટ થઈ અને આત્મકથા તરીકે પ્રશંસા પામી. 1997માં પુસ્તક રૂપે પ્રકાશિત થઈ. આ પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદના ‘શ્રી ભગિની નિવેદિતા પારિતોષિક’, ‘શ્રી તખ્તસિંહ પરમાર પારિતોષિક’ અને ‘કલા ગુર્જરી’, મુંબઈનું ‘ગીરા ગુર્જરી’ પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયા. 1997માં લેખિકાની પ્રથમ વાર્તા ‘હીંચકો’ને ‘સમકાલીન’ (સાંધ્ય દૈનિક) અને સાન્તાક્રુઝ સાહિત્ય સંસદ તરફથી યોજાયેલી વાર્તાસ્પર્ધામાં પ્રથમ પારિતોષિક મળ્યું. ત્યાર પછી આ વાર્તા ગુજરાત અને વિદેશનાં સામાયિકોમાં પુનઃમુદ્રિત થઈ અને હિન્દીમાં પણ એનો અનુવાદ થયો. 1997થી 2004 સુધીમાં લેખિકાના હળવા હાસ્ય લેખો અનેક સામાયિકો અને દૈનિકોમાં પ્રગટ થતા રહ્યા અને 2005ની શરૂઆતમાં ‘ઘેરે ઘેર લીલાલહેર’ નામે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયા. 2005ના અંતમાં કમલેશ બક્ષીની શ્રેષ્ઠ હિન્દી વાર્તાઓનો અનુવાદ ‘એક નવો જ વળાંક’ પુસ્તક રૂપે પ્રકાશિત થયો. ગુજરાતી ભાષામાં બીજી ભાષાઓના વાર્તાનુવાદ મર્યાદિત પ્રમાણમાં થયા છે અને એમાં આ પુસ્તક એક સીમાચિહ્‌નરૂપ ગણી શકાય. લેખિકાનાં વિવિધ શૈલીનાં નિબંધો, વાર્તાઓ, લલિત લેખો અને કવિતાઓ ‘અખંડઆનંદ’, ‘નવનીત-સમર્પણ’, ‘ઉદ્દેશ’, ‘ગુર્જરી ડાયજેસ્ટ’ ‘લેખિની’ વગેરે સામાયિકો, અને ‘જન્મભૂમિ પ્રવાસી’, ‘ગુજરાત સમાચાર’ દૈનિકોમાં પ્રકાશિત થયાં છે. મુંબઈ આકાશવાણી પરથી પણ એમના હળવી શૈલીના વાર્તાલાપો પ્રસારિત થયા છે. 2024માં ‘હીંચકો’ વાર્તા શરીફા વીજળીવાળા દ્વારા સંપાદિત ગુજરાતી નારીસંપદા શ્રેણી : ટૂંકી વાર્તા અંતર્ગત ‘સો વર્ષની વાર્તાઓ'માં સ્થાન પામી છે. 2025માં ‘અંજની, તને યાદ છે?’ અને ‘ઘેરે ઘેર લીલાલહેર’ની બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ છે.

Showing all 2 results