Sundarji Betai
1 Book / Date of Birth:- 10-08-1905 / Date of Death:- 16-01-1989
બેટાઈ સુંદરજી ગોકળદાસ, ‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’ : કવિ, વિવેચક. જન્મ વતન બેટ-દ્વારકામાં. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૩૨માં એલએલ.બી., ૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. પ્રારંભનાં ચારપાંચ વર્ષ ‘હિંદુસ્તાન’ને ‘પ્રજામિત્ર’માં સબઍડિટર, ચારપાંચ વર્ષ મુંબઈની એક સંસ્થામાં આચાર્ય, એ પછી મુંબઈની એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં નિવૃત્તિપર્યંત ગુજરાતીના અધ્યાપક. ઇન્ડિયન પી.ઈ.એન.ના સભ્ય. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં અવસાન.‘જ્યોતિરેખા’ (૧૯૩૪)માં પૌરાણિક અને ઐતિહાસિક પ્રસંગો પર આધારિત પાંચ ખંડકાવ્યો છે. ‘ઇન્દ્રધનુ’ (૧૯૩૯), ‘વિશેષાંજલિ’ (૧૯૫૨), ‘સદગત ચંદ્રશીલાને’ (૧૯૫૯), ‘તુલસીદલ’ (૧૯૬૧), ‘વ્યંજના’ (૧૯૬૯), ‘અનુવ્યંજના’ (૧૯૭૪), ‘શિશિરે વસંત’ (૧૯૭૬) અને ‘શ્રાવણીની ઝરમર’ (૧૯૮૨) એ એમના કાવ્યસંગ્રહોની કવિતા પરથી દેખાય છે કે અધ્યાત્મચિંતન, પ્રણય, પ્રકૃતિ અને સ્વજનમૃત્યુથી જન્મતો શોક પ્રારંભથી અંત સુધી એમની કવિતાનાં ચાલકબળ રહ્યાં છે.પૂર્વે પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યમાં સૉનેટ’ (૧૯૩૫)ને સમાવતા વિવેચનસંગ્રહ ‘સુવર્ણમેઘ’ (૧૯૬૪)માં ન્હાનાલાલ, બ. ક. ઠાકોર અને મેઘાણીની કવિતાનું તટસ્થ નિરીક્ષણ કરતા સમદ્રષ્ટિવાળા ધ્યાનપાત્ર લેખો છે. ‘આમોદ’ (૧૯૭૮)માં ‘ગુજરાતી કવિતામાં અનુષ્ટુપ’ જેવા મહત્વના લેખ ઉપરાંત સંસ્કૃત અને ગુજરાતી કવિઓ અને તેમની કવિતા વિશેના લેખો છે. ‘નરસિંહરાવ’ (૧૯૮૦) નરસિંહરાવના વાઙમયપુરુષાર્થની ઝાંખી કરાવતી પુસ્તિકા છે. કવિ તથા કવિતા તરફ જોવાની સમદ્રષ્ટિ એમના વિવેચનનો લાક્ષણિક ગુણ છે.‘સાહિત્યમાધુરી’, ‘સાહિત્યોદ્યાન’ અને ‘સાહિત્યસુષમા’ એ એમનાં શાળોપયોગી સંપાદનો છે

Showing the single result