કવિ મનીષ પરમારનો જન્મ 5-11-1956ના રોજ ધરોઈ ડેમ પાસે વાવડીગઢ મુકામે થયો હતો.
સતલાસણા માધ્યમિક શાળામાં ચિત્રોના લસરકા કરતાં કરતાં 1975માં અમદાવાદ, એચ. કે. આર્ટ્સ કૉલેજમાં આવ્યા પછી ચિત્રોના બદલે કવિતા લખવાનું શરૂ કર્યું. 1977ના કાલખંડમાં શબ્દનો લસરકો પ્રાપ્ત થયો. એ ક્ષણોની સપાટ જમીનમાં શબ્દનું પહેલું બીજ નાખ્યું અને ફણગો ફૂટ્યો ગઝલનો.
આકંઠ કલાપ્રવૃત્તિને વરેલી એચ. કે. આર્ટ્સ કૉલેજમાં એમને પ્રવેશ મળ્યો. શ્રી યશવંત શુક્લ જેવા કેળવાયેલા આચાર્યના નભોમંડળનો ઉજાસ મળ્યો. એચ. કે. કૉલેજમાં કાવ્યશિબિરો, નાટ્યશિબિરોમાં ભાગ લીધો છે. વિદ્યાર્થીકાળમાં લેખન પારિતોષિક એમના સુઘડ અક્ષરોને લીધે મળ્યું છે. કૉલેજમાં એ વરસોમાં કાવ્યપઠન માટે આકાશવાણીએ કેટલાક લખતા વિદ્યાર્થીઓને આમંત્રિત કર્યા હતા. ત્યાં તેઓ રેડિયો પર રજૂ થયા. પ્રોત્સાહિત થયા અને પ્રેરણાનું પહેલું સોપાન અહીંથી શરૂ થયું.
તેમનાં ‘ગોરંભો’ અને ‘આંસુના સરનામે’ બે પુસ્તકો પ્રકાશિત થયાં છે.