Manisha Joshi
1 Book / Date of Birth:- 06-05-1971
મનીષા જોષીનો જન્મ 6 એપ્રિલ, 1971, ગુજરાતમાં કચ્છ જિલ્લાના ગોધરા-માંડવી ખાતે થયો. કચ્છમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ 1995માં વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીથી માસ્ટર્સ ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી. કારકિર્દી માટે મુંબઈ અને લંડનમાં તેમણે ઘણાં વર્ષો પ્રિન્ટ તેમજ ટેલિવિઝન મીડિયામાં પત્રકાર તરીકે કામ કર્યું. હાલ તેઓ અમેરિકામાં કેલિફોર્નિયામાં સ્થાયી થયા છે.તેમના અત્યાર સુધીમાં ચાર કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. પ્રથમ સંગ્રહ ‘કંદરા’ 1996માં ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયો. એ પછી ઇમેજ પબ્લીકેશન્સ, મુંબઈ દ્વારા 2001માં બીજો સંગ્રહ ‘કંસારા બજાર’ અને 2013માં ત્રીજો સંગ્રહ ‘કંદમૂળ’ પ્રકાશિત થયો. ત્યાર બાદ 2020માં આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ., અમદાવાદ દ્વારા ચોથા કાવ્યસંગ્રહ ‘થાક’નું પ્રકાશન અને 2020માં જ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા તેમના પ્રથમ ત્રણ કાવ્યસંગ્રહોમાંથી ચૂંટેલી કવિતાઓનો સંપાદિત સંગ્રહ પણ પ્રકાશિત થયો. ’કંદમૂળ’ કાવ્યસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ 2013નું પ્રથમ પારિતોષિક એનાયત કરાયું છે. ગુજરાતી લીટરરી ઍકેડમી ઑફ નોર્થ અમેરિકાએ તેમને વર્ષ 2018ના શ્રી રમેશ પારેખ ઍવૉર્ડથી સન્માનિત કર્યા છે.તેમનાં કાવ્યોની પસંદગી અનેક અંગ્રેજી પોએટ્રી ઍન્થોલોજી માટે થઈ છે જેમાં ‘બીયોન્ડ ધી બીટન ટ્રેક: ઑફબીટ પોએમ્સ ફ્રોમ ગુજરાત’, ‘બ્રેથ બીકમીંગ અ વર્ડ’, ‘જસ્ટ બીટવીન અસ’, ‘ઇન્ટીરીઅર ડેકોરેશન’, ‘ધી ગાર્ડેડ ટન્ગ: વીમેન્સ રાઇટિંગ ઍન્ડ સેન્સરશીપ ઇન ઇંડિયા’, ‘વીમેન, વીટ ઍન્ડ વીઝડમ : ઇન્ટરનેશનલ મલ્ટીલીન્ગ્યુઅલ પોએટ્રી ઍન્થોલોજી ઑફ વીમેન પોએટસ’, ‘અમરાવતી પોએટીક પ્રીઝમ’ વગેરેનો સમાવેશ થાય છે. તેમની સાથેની મુલાકાત-વાતચીત ઇંડિયન લીટરેચર, નવનીત સમર્પણ, સદાનીરા જેવા સામયિકો તેમજ ‘જસ્ટ બીટવીન અસ’, ‘પ્રવાસિની’ જેવાં પુસ્તકોમાં પ્રકાશિત થઈ છે. તેમની કવિતાઓના અંગ્રેજી તથા હિન્દી અનુવાદ ‘ઇંડિયન લીટરેટર’, ‘ધ વૂલ્ફ’, ‘ન્યૂ ક્વેસ્ટ’, ‘પોએટ્રી ઇંડિયા’, ‘ધ મ્યૂઝ ઇંડિયા’, ‘સદાનીરા’ વગેરે પ્રતિષ્ઠિત સામયિકો/વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે.
Social Links:-

Showing the single result