Yash Rai
1 Book
યશ રાયની સાહિત્ય-સાધના વિવિધ સ્વરૂપે વિકાસ પામી છે. તેઓ એક કર્મશીલ સર્જક છે. વલસાડમાં જન્મેલા યશ રાય અભ્યાસમાં તેજસ્વી રહ્યા હતા. બાળપણથી જ વાચનના જબરા શોખીન. ઈ.સ. 1961માં 14 વર્ષની વયે ભણતા હતા ત્યારથી જ વાર્તાઓ લખતા થઈ ગયેલા. મૅટ્રિકના અભ્યાસ પછી એમની સાહિત્યયાત્રાએ વેગ પકડ્યો. એમની ઘણી મૌલિક ગુજરાતી-હિન્દી વાર્તાઓ પ્રકાશિત થઈ છે. રમત-ગમત અને રાજકારણ સિવાયના લગભગ બધા જ વિષયો પર એમણે વાચન-લેખન-દોહન કર્યું છે. ધાર્મિક-આધ્યાત્મિક, યોગ અને અગમ્યવાદ જેવા વિષયો પ્રત્યે ઝોક વધુ. એમણે અનેક શિષ્ટ સામયિકોનું સફળ સંપાદન કર્યું છે. આકાશવાણી પરથી એમની ચિંતનાત્મક કૃતિઓ તથા નવલિકાઓ પ્રસારિત થઈ છે. યશ રાયે ઘણાં પુસ્તકો સંપાદિત-અનુવાદિત કર્યાં છે. એમણે બાળકોનાં નામોનું અર્થસહિત-સાહિત્ય અને લાલિત્યસભર `મોહક બાળનામાવલી'નું અભૂતપૂર્વ તથા મહત્ત્વપૂર્ણ સંયોજન કર્યું છે. તેની ગુજરાતી, હિન્દી અને મરાઠી આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. `તુલસી' (ઔષધ) પુસ્તક ખૂબ જ પ્રશંસા પામ્યું છે. આ પુસ્તકની ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષાઓમાં અનેક આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. એમનાં `તાળી-ચિકિત્સા પદ્ધતિ' ઉપરાંત `અમૃતફળ આમળાં' તથા `અમૃત-ઔષધ કુંવારપાઠું' પુસ્તકો ગુજરાતી-હિન્દી ભાષામાં લોકભોગ્ય બન્યાં છે. એમનાં અન્ય પ્રકાશિત પુસ્તકો `પિરામિડશક્તિ', `વિચારો દ્વારા સ્વાસ્થ્યપ્રાપ્તિ', `સરળતાથી સફળતા', `ટૅરો દ્વારા ભવિષ્યને જાણો', `પૅન્ડુલમ થેરાપી' સારો આવકાર પામ્યાં છે.

Showing the single result