
Vasantkumar G. Parekh
1 Book / Date of Birth:-
23-09-1929
વસંતકુમાર ગીરધરલાલ પારેખનો જન્મ કાઠિયાવાડના મહુવા ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મહુવામાં લઈ, મુંબઈની વિલ્સન કૉલેજમાંથી B.A. પાસ કરી ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી L.L.B. પાસ કર્યું અને મુંબઈમાં વકીલાત શરૂ કરી હતી. વકીલાત કરતાં કરતાં તેમણે અન્ય ડિગ્રીઓ જેવી કે - L.S., G.D.I.F.A. મેળવી હતી.
આપણા દેશના પીઢ નેતા બાબુ જગજીવનરામના ખાસ વિશ્વાસુ તરીકે તેમણે રાજકારણમાં પણ પ્રવેશ મેળવ્યો હતો. બાબુ જગજીવનરામના પુત્રનો કેસ તેઓ લડ્યા હતા અને તેથી તેમની સલાહ અને આગ્રહથી વસંતભાઈએ લગ્ન વિષયક કાયદાનો ઊંડો અભ્યાસ કરી છૂટાછેડા જેવા કેસોના નિષ્ણાત તરીકે ખ્યાતિ મેળવી હતી. લગ્નવિષયક અને છૂટાછેડા કેસોમાં તેમણે અનેક દંપતીની જિંદગી બગડતી બચાવી હતી... ઉગારી હતી. તેમણે અનેકને યોગ્ય માર્ગે વાળી જીવનની સચ્ચાઈથી વાકેફ કર્યા હતા.
અતુલભાઈ અદાણી, કૃષ્ણકાંત વખારિયા, સંદેશના સ્વ. ચીમનભાઈ પટેલ, પૂર્વમુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલ, સ્વ. યોગેન્દ્ર મકવાણા અને પ્રફુલભાઈ પટેલ (N.C.P.) જેવા ગુજરાતના રાજકીય માધાંતાઓ સાથે પણ વસંતકુમાર ચર્ચાઓ કરતા અને ઘરેલુ સંબંધ પણ રાખતા.
ભારત સરકારના ગૃહમંત્રાલય અને જૂનાગઢ જિલ્લા તરફથી તેમને માનપત્ર તેમજ ચંદ્ર એનાયત કરાયો હતો તેવી જ રીતે મુંબઈ સરકારે પણ તેમને માનનીય પદવી આપી ચંદ્રક એનાયત કર્યો હતો.
`જન્મભૂમિ' દૈનિકના તત્કાલીન મુખ્યતંત્રી શ્રી હરીન્દ્રભાઈ દવેના માર્ગદર્શનથી તેમણે પોતાના અનુભવોના નિચોડ સમી લેખમાળા ‘માનવીના હૈયાને નંદવાતાં વાર શી?’ લખી હતી. જેને આજે પુસ્તક સ્વરૂપે પ્રગટ કરી રહ્યા છીએ. આ પુસ્તક આજે પણ અનેક દંપતીઓને જીવનનો સાચો અને સારો માર્ગ ચીંધી માર્ગદર્શક બની રહેશે તેવી અમોને શ્રદ્ધા છે.










