Hiren Desai
2 Books / Date of Birth:- 17-11-2000
હું હિરેન દેસાઈ. પિતાનું નામ – અશોકભાઈ. માતાનું નામ – રશ્મિબહેન. જન્મ ગુજરાતના નાનકડા શહેર અમરેલીમાં થયો. (નાનકડા શહેરમાંથી આવું છું એટલે વાચકોનો થોડો પ્રેમ પણ અખિલ બ્રહ્માંડ જેવો લાગશે!) ધરાઅવતરણ બાદ બાળપણ તો અમરેલીની સાંકડી અને ગટરો ઊભરાતી ગલ્લીઓમાં જ વીત્યું. (જોકે એ મોજીલા દિવસોને હું ક્યારેય ભૂલી શકવાનો નથી અને બાળપણ તો આખરે બાળપણ જ કહેવાય!) માબાપનાં લાડ અને મોટી બહેનના વ્હાલ વચ્ચે જેમજેમ મોટો થતો ગયો તેમતેમ દુનિયાદારી અને જવાબદારીઓનું ભાન થતું ગયું. અભ્યાસમાં હું પહેલેથી જ હોશિયાર હતો. ફિલ્મો નિહાળવી, સંગીત સાંભળવું અને રખડપટ્ટી કરવી એ મારા શોખ રહ્યા છે. રમતગમત ક્ષેત્રે પણ મેં અનેકવાર હાથ અજમાવી જોયો છે. ક્રિકેટનો ભારે શોખીન અને જીવનના એક તબક્કે તો ક્રિકેટર બનવાના ખ્યાલો જ મનમાં ઘૂમતા રહેલા, પરંતુ ઈશ્વરની મરજી અને અંતરની ચાહના તો કંઈક ઓર જ હતી. દસમા ધોરણ બાદ મેં જૂનાગઢમાં સાયન્સ કર્યું અને ત્યારબાદ બાદ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ટૅક્સસ્ટાઇલ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો. બસ, અહીંથી જ મારા જીવનમાં એક નવો, જાદુઈ વળાંક આવ્યો. એને ચમત્કાર ગણો કે પછી મારી સોનેરી કિસ્મત કે મેં એન્જિનિયરિંગને બદલે લખવા ઉપર જ મારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું અને એના પરિણામરૂપે બે વર્ષ બાદ એન્જિનિયરિંગ છોડીને મારે આર્ટ્સમાં પગલાં પાડવા પડ્યાં. એ સમય મારા જીવનનો સૌથી કપરો સમય સાબિત થયો હતો. જોકે જીવનની વાસ્તવિકતા અને પડકારોથી ભાગવાને બદલે હું તેને અપનાવવાના પ્રયત્નો વધારે કરું છું. મારી લેખનશક્તિ તો બારમા ધોરણ દરમિયાન જ ખીલી ઊઠી હતી, પરંતુ ક્યાંક અંદર ને અંદર હું તેને દબાવતો રહ્યો અને ચારેય દિશામાં આમતેમ ભાગતો રહ્યો. ભટક્યો એમાં પણ ઘણું શીખવા મળ્યું. વાંચનથી મારી લખવાની ચાહત વધીને થોડુંઘણું તો સમયે પણ શીખડાવી દીધું. અલબત્ત, અંતે હું મારી સર્જનકલા ઉપર પાછો ફર્યો એનો મને હૃદયથી આનંદ પણ છે. મેં ગુજરાતીમાં અનેક ટૂંકી વાર્તાઓ અને નવલકથા લખી છે. એ માટે હું પૃથ્વી પરના ઘણા જીવોનો આભારી છું. પેન તેમજ કાગળ જેવી નિર્જીવ વસ્તુઓ પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. જે સર્જકોનો હું આભાર વ્યક્ત કરવા માગું છું તેઓને ખબર જ હશે એટલે અહીં બધાનું નામ લખવા બેસતો નથી. બસ, એટલું કહેવા ઇચ્છું છું કે લેખનથી હું મારી પોતાની જ એક અલગ દુનિયાનું સર્જન કરવા માગું છું. દરેક પાત્રો સાથે મારા હૃદયનું સીધું જોડાણ હોય છે. રચનાઓ મારી આત્મા છે અને તેનું લખાણ એ મારું મન છે. હું તો આજે છું, કાલે ન પણ હોઉં...! પણ મારું કામ, મારી સાહિત્યકલા હંમેશને માટે અમર બની રહે તેવા પ્રયાસોમાં અત્યારે ગૂંથાયેલો છું. ટૂંકી પરંતુ ફળદાયી જિંદગી જીવવી છે. દેખાદેખી કરવા કરતાં અંતરાત્માને મજબૂત અને સમર્થ બનાવવો છે.
Social Links:-

Showing all 2 results