જુગલબંદી
જાવેદ અખ્તર
સાથે…
સમય : 27 ડિસેમ્બર 2002ની જામતી રાત / સ્થળ : ગાંધીસ્મૃતિભવન, સુરત, 816 બેઠકોની
ક્ષમતાવાળા હૉલમાં હકડેઠઠ ગોઠવાયેલા 1300 ઉત્કંઠ પ્રેક્ષકો / પ્રસંગ : વિમોચન સમારોહ
`કૈફી આઝમી : `કેટલાંક કાવ્યો’ પુસ્તકનો / વિશેષ ઉપસ્થિતિ : જનાબ જાવેદ અખ્તર
હા, એ યાદગાર રાતે, એમણે દસ મિનિટ બોલવા કબૂલ્યું હતું અને પછી 90 મિનિટ સુધી અસ્ખલિત શુદ્ધ ઉર્દૂમાં કાવ્યો સંભળાવ્યા. ચુંબકીય વ્યક્તિત્વના સ્વામી જાવેદ અખ્તર સાથે એ દિવસે પહેલો પરિચય થયો. જાવેદજી ખૂબ ખૂશ હતા. એ એમનું પણ વન ઑફ ધ બેસ્ટ પર્ફોર્મન્સીસ હતું. છતાં આવી અફાટ લોકચાહનાના સમુદ્ર વચ્ચે એમનું ધ્યાન મેં કરેલા કૈફી આઝમીના અનુવાદો પર ગયું. ઉર્દૂના છંદોબદ્ધ અનુવાદોથી એમને અચરજ થયું અને અચાનક એમણે કહ્યું, “આપકો `તરકશ’ કા ભી તર્જુમા કરના હૈ.”
પછી તો એમના ઘરે મળવાનું થયું. અનુવાદો સાંભળ્યા, ચકાસ્યા. સ્મિત સાથે મંજૂરીની મહોર મારી. એમને કારણે અમિતાભજી સાથે મુલાકાતનો લ્હાવો મળ્યો અને કૈફી આઝમીના પુસ્તકનું મુંબઈ પૃથ્વી થિયેટરમાં `બિગ બી’ના હાથે વિમોચન પણ થયું. `તરકશ’ના વિમોચન સમારોહમાં ભાઈદાસ હૉલમાં જાવેદજી સાથે, સામસામે ઉર્દૂ અને ગુજરાતી કવિતાના પઠનની તક મને મળી. એ દિવસે એમણે કહ્યું, “લગતા યૂં હૈ કિ આપને ઇસે ગુજરાતી મેં લિખા ઔર હમને ઉસકા ઉર્દૂ મેં તર્જુમા કિયા!” એમનો આ પ્રતિભાવ મારે મન મને મળેલા કોઈ ઍવૉર્ડથી કમ નહોતો.
છ પેઢી પહેલાં એમના દાદા ફઝલે હક ખૈરાબાદી 1857ના વિપ્લવના સ્વાતંત્રસેનાની અને શહીદ, મિર્ઝા ગાલિબના મિત્ર અને માર્ગદર્શક, જાવેદ અખ્તરના દાદા મુઝતર ખૈરાબાદી. એમની ગઝલ `ન કિસી કી આંખ કા નૂર હૂં’ બહાદુરશાહ ઝફરને નામે ચઢી. એમના મામા વિખ્યાત શાયર મજાઝ લખનવી, મમ્મી લેખિકા સફિયા અખ્તર અને પિતાજી જાંનિસાર અખ્તર!
આવો સમૃદ્ધ વારસો ધરાવનાર જાવેદની પ્રતિભા માત્ર શાયરની વ્યાખ્યામાં ન બંધાય. ધર્મનિરપેક્ષતા અને ક્રિટિકલ થિંકીંગ એમનો પહેલો પ્રેમ છે. વેધક વાણીનું એમને વરદાન છે.
`તરકશ’ એટલે તીર રાખવાનું ભાથું. એમનો એકેય શબ્દ નિશાન ચૂકતો નથી કેમ કે એ સીધો `તરકશ’માંથી આવે છે.
રઈશ મનીઆર
Be the first to review “Tarkash”
You must be logged in to post a review.