આપણે જીવનમાં છદ્મરૂપી સુખ અને શાંતિ માટે સગવડરૂપી કચરાપેટીઓ ક્યાંક ને ક્યાંક ઊભી કરી રહ્યા છીએ.
આપણે એ ભૂલી ગયા છીએ કે સગવડથી સુખી ન થવાય, પરંતુ સમજણથી જ સાચા સુખી થવાય. આપણી દિશા જ જુદી છે એટલે આપણી દશા પણ જુદી જ રહેવાની. દુનિયાનું કોઈપણ દુઃખ મોટું નથી હોતું અને એ જ રીતે કોઈપણ સુખ નાનું નથી હોતું. જેની પાસે સમજણ છે એ જ સમૃદ્ધ છે. માણસની સમજણ જ એની ખરી સંપત્તિ છે. વ્યકિત પાસે લાખો કરોડો રૂપિયા હોય, ઘર, ગાડી બંગલા બધું જ હોય પરંતુ સમજણ જ જો ન હોય તો એનો શું અર્થ? સમજણ થકી સગવડ ઊભી કરી શકાય, પરંતુ સગવડ થકી સમજણ ક્યારેય ન આવે.
સગવડ તો સાધન છે અને સમજણ સાધ્ય છે. પદ, પ્રતિષ્ઠા અને પૈસાને સુખ માની બેઠેલા લોકો એ ભૂલી જાય છે કે સુખી થવા માટે આ બધા કરતાં વધારે જરૂરિયાત સમજણની છે. એક પરિવાર પાસે બધું જ છે. દુનિયાની કોઈ એવી વસ્તુ નહીં હોય જે એમના ઘરમાં ન હોય, પરંતુ ઘરનાં સભ્યો વચ્ચે પ્રેમભાવ ન હોય, એકબીજાં માટે જતું કરવાની ભાવના ન હોય, ઘરમાં નાની નાની વાતમાંથી પણ ઝઘડા થતા રહેતા હોય તો એનો શું અર્થ ! એની સામે ઝૂંપડીમાં રહેતા સાવ ગરીબ કુટુંબનાં સભ્યો વચ્ચે પ્રેમભાવ હોય, બધાંને એકબીજાં માટે કશુંક કરી છૂટવાની ભાવના હોય, રોજ નિરાંતે ઘરમાં સાથે બેસીને ભોજન લેતાં હોય એવો પરિવાર સુખી કહેવાય. એક વાત યાદ રાખવા જેવી છે કે સુખને સગવડ સાથે કોઈ જ લેવા-દેવા નથી, પરંતુ સમજણ સાથે પૂરેપૂરી લેવા-દેવા છે. સમજણની જમીનમાં જ સુખની ખેતી થઈ શકે.
આપણા મોટાભાગના પ્રશ્નો સમજણના અભાવને કારણે જ સર્જાય છે. આ અભાવને કારણે જ આપણે ઘણીબધી સમસ્યાઓ હાથે કરીને ઊભી કરીએ છીએ.
શાશ્વત સુખ સુધી પહોંચવા માટે સમજણની સાચી દિશા બતાવે એવી થોડી વાતો પુસ્તકમાં કરાઈ છે. તમારી જીવનયાત્રામાં સમજણનું આ ભાથું તમને ખૂબ જ ઉપયોગી થશે.























Be the first to review “Samjan No Setu Ae J Kharo Setu”
You must be logged in to post a review.