આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?
થોભીને વિચારવાની જરૂર
બાળકો પર ભણતરનો અસહ્ય બોજ છે. દિવસે દિવસે ભણતર વધુ સ્પર્ધાત્મક બનતું જાય છે. એથી વધુ શિક્ષણ વિશેનો માબાપનો અભિગમ વધારે તણાવયુક્ત, દાબદબાણભર્યો અને સત્તાવાહી બનતો જાય છે. કદાચ તેથી જ આજે મોટા ભાગના બાળકોના બાળપણનાં શરૂઆતનાં વર્ષ શિક્ષણજન્ય તણાવમાં, શોષિત અવસ્થામાં પસાર થાય છે અને બાળપણનાં પાછળનાં વર્ષ દિશાહીન આનંદપ્રાપ્તિની ખોજમાં, બળવાખોર ઉદ્દંડતામાં પસાર થાય છે. બાળકો અને માતાપિતા વચ્ચે જે ન પુરાય એવી મોટી ખાઈ છે એનું મુખ્ય કારણ બાળકો પર શિક્ષણને નામે કરવામાં આવતો અત્યાચાર છે, એવું ચોક્કસ લાગે. ભણતરના ભારને કારણે બાળપણના સાહજિક હર્ષોલ્લાસથી વિંચિત રહેલાં બાળકો જીવન પ્રત્યે સાચો અભિગમ કેળવી શકતાં નથી અને જીવનને ભણતર નામની સજા અને ભણતર સિવાયની મજા એમ બે ભાગમાં વહેંચી નાખે છે. આ વિષચક્ર વિશે દરેક માબાપે થોભીને વિચારવાની જરૂર છે. ડૉ. રઇશ મનીઆરનું આ પુસ્તક આપણને એવી તક આપે છે. આ પુસ્તકમાં તેઓ એક ડૉક્ટર, એક મનોવિજ્ઞાની અને એક ચિંતક તરીકેની ત્રેવડી ભૂમિકામાં જોવા મળે છે. એમના અગાઉના પુસ્તક `બાળઉછેરની બારાખડી’ની જેમ આ પુસ્તકમાં પણ એક બાળરોગનિષ્ણાત તરીકે બાળકની માનસિકતાની સાંગોપાંગ સમજ અને એક કવિ, એક દ્રષ્ટા તરીકે સમસ્યાના હાર્દ સુધી સાહજિક રીતે, ભારેખમ થયા વગર પહોંચવાની કળા આ બંનેનો સુભગ સમન્વય દૃષ્ટિગોચર થાય છે. આવું મૌલિક સર્જન આપણી ભાષામાં થાય છે એનું આપણને સૌને ગૌરવ હોવું જોઈએ કારણ કે આ પુસ્તક આપણને એવી ભૂમિ પર લઈ જાય છે જ્યાં વિજ્ઞાન, ફિલૉસૉફી અને ‘કવિતાની સરહદો ઓગળી જાય છે.
Be the first to review “Aapne Balako Ne Sha Mate Bhanavie Chiye”
You must be logged in to post a review.