રાધા અને કૃષ્ણ વિશ્વભરમાં પ્રેમયુગલ તરીકે પૂજાય છે. તેઓ જીવનનાં ઘણાં ઓછાં વર્ષો એકબીજાંની નિકટ રહ્યાં, પણ જેટલાં પણ વર્ષો તેઓ સાથે રહ્યાં એ વર્ષો અદ્ભુત રહ્યાં. એવાં સુંદર રહ્યાં કે જેની યાદોના સહારે બાકીનું આયખું જીવી શકાય. પુરાણો અનુસાર વૃંદાવન છોડ્યા પછી કૃષ્ણ અને રાધા કદી મળ્યાં નથી કે તેઓ વચ્ચે કોઈ પ્રકારનો સંવાદ પણ થયો નથી, પણ જો એ સમયે તેઓએ એકબીજાંને પત્રો લખ્યા હોત તો લાગણીની અભિવ્યક્તિ કેવી રીતે કરી હશે એ ‘રાધાકૃષ્ણના પ્રેમપત્રો’માં દર્શાવ્યું છે. વિતેલા જીવનની યાદો, આર્યાવર્તની એ વખતની વિકટ પરિસ્થિતિઓ અને કૃષ્ણનું અંગત જીવન એ આ પત્રોનો મુખ્ય ભાવ છે.
કૃષ્ણ – ભગવાન, મહામાનવ, પુરુષોત્તમ કહેવાયા… પણ માનવરૂપે જન્મેલા ભગવાનને પણ ક્યારેક સમસ્યાઓ નડી હશે અને એ સમસ્યાઓ, કોઈકને કહી હળવા થવાનું મન પણ તેઓને થયું હશે, ત્યારે તેમને યાદ આવી ગયાં હશે રાધા…! કૃષ્ણના પોતાના જીવનનું જ પર્યાયસમું પ્રિય વ્યક્તિત્વ…! કૃષ્ણએ પત્રો લખ્યા. રાધાએ પત્રોના જવાબ પણ આપ્યા. આ પ્રેમપ્રચુર પત્રો દ્વારા રાધાકૃષ્ણ, સમસ્ત જીવનની અને આર્યાવર્તની સમસ્યાઓની ચર્ચા કરે છે. સમય સાથે પત્રોનાં પરિમાણો બદલાતાં પણ જોઈ શકાય છે. કૃષ્ણ ઘણીવાર રાધા પાસેથી જવાબની આશા નથી રાખતા. તેમને તો બસ કોઈકને કહીને હળવા થવું હોય છે પણ રાધા પાસે એવા સામાન્ય ઉપાયો, તર્ક અને દલીલો હોય છે, જે સ્વયં કૃષ્ણને તેમના મનનું સમાધાન કરવામાં સહાયરૂપ બને છે. નિઃસ્વાર્થ પ્રેમની કેટલી મોટી શક્તિ, કે જગતનો તાત એક ગોવાલણીની વાતોથી પરાસ્ત થાય છે!
Be the first to review “Radhakrushnana Prempatro”
You must be logged in to post a review.