ઘણીવાર સર્જકને પ્રશ્ન પુછાતા હોય છે, તમને વાર્તાનું બીજ ક્યાંથી મળે છે? શીર્ષક પહેલાં કે પછી વાર્તા? વાર્તાનો અંત નિશ્ચિત હોય…?
પ્રશ્નો તો ઘણા પૂછી શકાય પણ જવાબ અલબત્ત મારે માટે તો એક જ રહે, જાણ્યે અજાણ્યે વાર્તાનું બીજ મનમાં રોપાઈ જાય અને અચાનક એના લીલાછમ્મ તૃણાંકર આપમેળે ઊગી નીકળે. ક્યારેક તો વર્ષો પછી. તો કદીક એ બીજ ધરતીના ગર્ભમાં જ દટાયેલું રહે. તો કોઈ વાર કોઈ દૃશ્ય, પ્રસંગ કે ટીવી-અખબારના સમાચારમાંથી વાર્તા પ્રગટ થાય. ક્યારેક શીર્ષક જ સૂઝે અને પૂણી કંતાતી જાય અને તાર નીકળે તેમ વાર્તા શીર્ષકમાંથી જ નીપજી આવે. તો ક્યારેક વાર્તા લખાઈ જાય અને શીર્ષક માટે ધીરજ રાખવી પડે. કદીક વાર્તા તો ચાકડે મૂકેલો ગૂંદેલી માટીનો લોંદો જ. ચાકડો ઘૂમતો જાય અને એને કલાત્મક આકાર આપતા જવાનો, પછી એને ધીરજથી નિંભાડે પકાવવી પડે. ઉતાવળે ક્યારે આંબા પાક્યા છે!
દરેક વાર્તા પોતાનો પરિવેશ લઈને ચાલતી હોય છે. હવે તો ચપટી વગાડતામાં સમય પડખું બદલતો રહે છે. સોશ્યલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક ગૅઝેટ્સે જીવન આસાન કર્યું છે તેમ અનેક નવી સમસ્યા, પ્રશ્નો પણ ખડાં કરી દીધાં છે. ત્યારે સાહિત્યે હવે વળુ બદલવું પડશે અને વહેણ પણ.
પહેલી નવલકથા લખી એ વાતને બાવન વર્ષ થયાં. એ વખતે મને કલ્પના પણ ન હતી કે મારી અંતિમ ઓળખ સર્જકની હશે. મારા લેખને મારી લાંબી એકલવાયી જિંદગીમાં મને ઘણો સાથ આપ્યો અને જીવવાનું બળ પૂરું પાડ્યું. મને આંતરબાહ્ય સમૃદ્ધ કરી છે.
– વર્ષા અડાલજા
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Svapnapravesh”
You must be logged in to post a review.