મા તું આવીશ ને!
સંવેદનાના વાવેતરની ઝાકળભીની કથાઓ
વાર્તાકાર હોવાથી વાર્તા કહેવી, લખવી અને વાંચવી ગમે. મોટાભાગની વાર્તાઓનું કથાબીજ પારિવારિક કે સામાજિક સમસ્યામાંથી ઉપજેલું છે. તેથી વાર્તાઓ જીવન કેન્દ્રી છે. વાર્તાઓ લખતી વખતે વ્યક્તિગત જીવન પ્રત્યે આકર્ષાઈને તેમના સુખ-દુઃખમાંથી ઉપજેલી મનની પ્રતિક્રિયાને ફંફોસીને એને કલાત્મક ઘાટ અપાયેલો હોય છે. વિપરીત પરિસ્થિતિમાંથી પસાર થતા પાત્રોની સંવેદનાનું આલેખન એમાં સવિશેષ હોય છે. એ લાગણીઓના વર્ણનમાં મોરપીંછના સ્પર્શની હળવાશ છે. તો ક્યારેક માનવ સંબંધમાં પ્રસરાયેલી સમજ અને ગેરસમજ વાચકના મનને વિચલીત કરે તો વળી ક્યારેક પરિસ્થિતિમાંથી સહજ ઉપસાવેલું મર્માળું સ્મિત ભાવકના ચિત્ત પર શીતળ લહેરખી સમું બની રહે છે. આ વાર્તાઓમાં વિપરીત પરિસ્થિતિમાં ફસાયેલાં પાત્રો પોતાની સંવેદનાની ત્સુનામીમાં હલેસાં મારતા દેખાય. પાત્રોનું મનોગત ચકડોળની જેમ ફરતું રહે છે. મેઘધનુષના અનેક રંગોના આવરણમાં વાચક ભાવુક બનીને વાર્તારસમાં તરબોળ બને છે.
પાત્રોના મનની ગહનતમ લાગણીઓને સ્પર્શીને તેમના મનની અવઢવ વાચકને ક્યારેક પોતાની લાગે છે ને તેથી વિપરીત પરિસ્થિતિમાંથી અટવાઈને-ગૂંચવાઈને કોઈ સમૃદ્ધ ક્ષણે કથા પાત્ર બેઠું થાય ત્યારે વાચક ભાવુક બની જાય છે. આમ પુસ્તકના પૃષ્ઠ પરથી પૂરી થયેલી વાર્તા ભાવકના હૃદયપૃષ્ઠ પર શરૂ થાય છે. આમ કથા રસના છાંટણા લાંબા સમય સુધી ભાવકને ભીંજવતા રહેશે. જ્યારે આમ બને ત્યારે વાર્તા કલા સ્વરૂપે વાચકને રસાનુભૂતિનું આચમન જરૂર કરાવશે એવી શ્રદ્ધા હું રાખું છું.
– વસુધા ઇનામદાર
વસુધાબહેન આ વાર્તાઓમાં જીવનના વિવિધ સંવેદનાત્મક પ્રસંગો કે ઘટનાઓને વસ્તુ વિષયક તરીકે પસંદ કરીને કલાઘાટ આપવાનો પુરુષાર્થ કર્યો છે. લેખિકાએ જે પાત્રો પસંદ કર્યા છે તેમનાં નામ, તેમના મિજાજ પ્રમાણેના વર્તન-વાણી બહુ સમજપૂર્વક નિરુપ્યાં છે. પ્રસંગોની ગૂંથણી પણ વાચકને વાર્તા અધૂરી ન છોડવા મજબૂર કરે તેવી છે. વસુધાબહેનની વાર્તાઓ વિષય વૈવિધ્ય લઈને તો આવી જ છે, તેમજ એના નિરુપણમાં પણ વૈવિધ્યસભર કલાત્મકતા છે. એમની ભાષા પણ વાર્તાના પાત્રો અને પ્રસંગોને અનુરૂપ અભિવ્યક્તિ થઈ છે.
Be the first to review “Ma Tu Aavish Ne?”
You must be logged in to post a review.