જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ ‘ધરતીકંપ’ જેવી હોય છે. એ પસાર થઈ ગયા પછી પણ એના આફ્ટરશૉક્સ કે ઝટકા અનુભવાયા કરે છે. ક્યારેક જીવનમાં કશુંક એવું બની જાય કે જાણે માથા પર વીજળી પડી હોય અને એ બનાવનો કરંટ કેટલાય સમય સુધી અનુભવાયા કરે. બસ, એમ સમજી લો કે મારા માથે પણ એવી જ કંઈક વીજળી પડી છે, જેનો કરંટ મારાં લેખો અને પુસ્તકો દ્વારા તમારા સુધી પહોંચતો રહે છે. મને અંદરથી હચમચાવી નાંખતી દરેક ઘટનાના આફ્ટરશૉક્સ મારા લખાણમાં ઊતરે છે.
અજવાળું આપવાનો દાવો કરનાર કે ઇચ્છા દર્શાવનાર દરેક ઉદ્ગમસ્થાનને સૌથી પહેલાં તો પોતે બળવું પડે છે. મને બળવા અને ઓગળવાનો શોખ છે, એટલે જ છેલ્લા થોડા સમયથી પૂરી વિનમ્રતા સાથે મારું મર્યાદિત, મૌલિક અને મનનીય અજવાળું વહેંચવા વાચકોના મનની અજાણી શેરીઓમાં ભટકું છું. એ જ અજવાળાંનો પ્રસાદ એટલે આ આફ્ટરશૉક્સ.
‘સ્વ’ અને ‘સર્વ’ને ઉન્નત કરવાની મથામણમાં જે લખાતું હોય છે, એ ભાવકો સુધી વધારે પહોંચતું હોય છે. લેખનક્ષેત્રની એ સૌથી મોટી લાક્ષણિકતા છે કે એક લેખક ક્યારેય એકલો ન વિકસી શકે. વાચકોનો બૌદ્ધિક, આધ્યાત્મિક અને ભાવનાત્મક વિકાસ કરાવ્યા બાદ જ એ પોતે વિકસવા માટે લાયક બની શકે. બસ, હું તો એ લાયકાત શોધી રહ્યો છું કે કદાચ તમારા રેફરન્સથી ઉપર ક્યાંક મને કોઈ સારી જગ્યા મળે. મને લાયક બનાવવો કે નહીં, એ તો તમારા હાથમાં છે.
આત્મસુધારની યાત્રા બહુ લાંબી અને કપરી છે. એમાં સતત સથવારો, સધિયારો અને સહારો જોઈએ. મારાં જીવન, ચિંતન અને વાંચનમાંથી આવું જ કશુંક તમને આપવાનો પ્રયત્ન કરતો રહીશ. બદલામાં તમે, તમારો પ્રેમ આપતા રહેજો, કારણ કે…એક લેખક ક્યારેય એકલો નથી વિકસી શકતો.
-ડૉ. નિમિત્ત ઓઝા
Be the first to review “Ajwalana Aftershoks”
You must be logged in to post a review.